Monday, June 1, 2015

કાળા ધનના ખાતાના નામ ખુલશે ત્યારે બોલવાના હોશ નહી રહેશે- અમિત શાહ

 કાળા ધનના ખાતાના નામ ખુલશે ત્યારે બોલવાના હોશ નહી રહેશે- અમિત શાહ
કેન્દ્રની ભાજપ સરકારને એક વર્ષ પુરા થયાં તેની સિધ્ધિ વર્ણવા સુરત આવેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખે કાળા નાણાંના મુદ્દે કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. તેઓએ કહ્યું હતું કે, કાળા નાણાંના મુદ્દે કોંગ્રેસીઓ વધુ હોબાળો ન મચાવે. કાળા ધનના ખાતા ખુલશે ત્યારે તેઓ બોલાવાના લાયક પણ રહેશે નહીં. આઝાદી પછી દેશમાં સતત રાજ કરતાં એક જ પરિવારે અત્યાર સુધી કાળા નાણાં અંગે કોઈ કાર્યવાહી કરી નથી તેથી તેઓને આ મુદ્દે બોલવાનો કોઈ અધિકાર નથી. સુરતના લિંબાયતના નિલગીરી મેદાન ખાતે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાળા નાણા મુદ્દે બોલતાં અમિત શાહે કહ્યું હતું કે, ભાજપે કાળા નાણાંના મુદ્દે જે લોકોને વાયદો કર્યો હતો તે પુરો કરવા જઈ રહી છે. ચૂંટણીના પરિણામ બાદ સત્તા સંભાળ્યાના થોડા જ વખતમાં સીટની નિમણુંક કરી દેવામાં આવી છે. કાળા ધન માટે કોંગ્રેસીઓ વધુ બોલી રહ્યાં છે પરંતુ ખાતાઓની માહિતી જાહેર થશે ત્યારે અનેકને બોલવાના હોશકોશ પણ રહેશે નહીં. ૬૦ વર્ષથી એક જ પરિવાર દેશ પર રાજ કરતો આવ્યો છે પણ તેઓએ કાળા નાણાં અંગે કોઈ કામગીરી કરી નથી તો તેઓને બોલવાનો કોઈ અધિકાર નથી. આ પહેલાની સરકાર ક્યાંથી ચાલતી હતી તે કહેવું મુશ્કેલ હતું. સોનિયા ગાંધીના ઘરેથી, રાહુલ ગાંધીના ઘરેથી કે વડા પ્રધાનના ઘરેથી સરકાર ચાલતી હતી તે કોઈ કહી શકતું ન હતું. પરંતુ સત્તા પરિવર્તન બાદ નરેન્દ્ર મોદીએ એક દેશ ભક્તને છાજે તેમ સરકાર ચલાવી છે. મોદીએ શાસનની ધુરા સંભાળ્યા બાદ દેશની સરહદ સલાતમ થઈ છે. પહેલા પાકિસ્તાન સરહદ પર ગોળીબાર કરતું તો આપણે સફેદ ઝંડો લહેરાવતાં હતા. આજે પાકિસ્તાન ગોળીબાર કરે તો અહીથી ગોળા ફેંકી તેનો જવાબ આપવામાં આવી રહ્યો છે. મોદી સરકારે એક વર્ષમાં વિકાસના એટલા બધા કામો કર્યા છે જેને સભામાં અડધા પોણા કલાકમાં ગણાવી શકાશે નહીં તેવું તેમણે જણાવ્યું હતું.

No comments: